વીલ-વસિયતનામું
વીલ-વસિયતનામું
એટલે કે, કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેની પોતાની મિલકત કોને મળે અને તેની વ્યવસ્થા
અને વહેંચણી કઈ રીતે થાય તે માટેનો કોઈ લેખ યા દસ્તાવેજ કોઈ વ્યક્તિ બનાવે તો તે
વીલ-વસિયતનામું કહેવાય. જો કોઈ વ્યક્તિ પોતાની હયાતી દરમ્યાન વીલ-વસિયતનામું તૈયાર
કરી ગયેલ ન હોય તો તેની મિલકત માટે વારસા ધારો લાગુ પડે છે. વીલ-વસિયતનામાનો અમલ
વીલ કરનાર વ્યક્તિ ગુજરી ગયા બાદ જ થઈ શકે છે.
વીલ-વસિયતનામાં
ના આવશ્યક તત્વો :
વીલની
સબરજીસ્ટ્રાર રૂબરૂ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી. વીલ સાદા કાગળ ઉપર તૈયાર કરી
શકાય છે. જો વીલની નોંધણી કરાવવી હોય તો સબ રજીસ્ટ્રારશ્રી રૂબરૂ વીલની નોંધણી થઈ
શકે છે. વીલ લખવા કે રજીસ્ટર્ડ કરાવવા સ્ટેમ્પ પેપર વાપરવાની કોઈ જરૂર નથી. વીલ
હાથેથી લખી શકાય અથવા ટાઈપ પણ કરાવી શકાય. વીલ લખી દરેક પાના ઉપર વીલ કર્તાની સહી
અથવા અંગૂઠાનું નિશાન હોવું જોઈએ તથા બે પુખ્ત ઉંમરના વ્યક્તિઓની સાક્ષી તરીકે સહી
હોવી જોઈએ. વીલ કર્તા એક વીલ એક કરતા વધુ વખત લખી શકે છે. વીલ કરનાર એક વખત વીલ
કર્યા પછી તે વીલ બદલી બીજું વીલ પણ કરી શકે છે અથવા ફેરફાર પણ કરી શકે છે. વીલના
સાક્ષીઓ એક્ઝીક્યુટર કે બેનીફીસીયર સાક્ષી તરીકે ન હોવા જોઈએ. વીલ સાક્ષીઓ તટસ્થ
અને અલગ હોવા જોઈએ. વીલ કર્તાને જે ભાષા આવડતી હોય તે ભાષામાં વીલ કરવું જોઈએ તથા
વીલના સાક્ષીઓને પણ વીલની ભાષા તથા વીલમાં લખેલ હકીકતોની સમજ હોવી ખાસ જરૂરી છે.
વીલમાં વીલ કર્તાના તમામ વારસદારોના નામો હોવા જોઈએ તથા વીલ કર્તા સાથેનો તેમનો
વ્યવહાર જીવન દરમ્યાન કેવો હતો તે જણાવવું ખાસ જરૂરી છે તથા વીલ કર્તા તમામ
વારસદારોને મિલકત સરખા હિસ્સે આપવા માંગતા હોય તો બીજા પ્રશ્ર્નો લગભગ ઊભા થતા નથી
પરંતુ વીલ કર્તા તમામ વારસદારો પૈકી અમુક વારસદારોને મિલકતનો હિસ્સો વધારે તથા
અમુક વારસદારોને ઓછો હિસ્સો આપે અથવા અમુક વારસદારોને બાકાત રાખે તેવા સંજોગોમાં
કારણો સવિસ્તાર જણાવવા જરૂરી છે. તથા વીલ કર્તા ક્યા વારસદારોને કેટલો હિસ્સો આપવા
માંગે છે તે જણાવવું ખાસ જરૂરી છે.
વસિયતનામું-વીલ બનાવવા ના
ફાયદા :-
વીલ કર્તા પોતાની સ્વપાર્જિત
મિલકતોનું અથવા મિલકત પોતાને વારસામાં મળી હોય તો તે મિલકતમાં પોતાના હિસ્સા
પુરતું વ્યક્તિ પોતાના મરણ બાદ પોતાની મરજી અને ઈચ્છા મુજબ વહેંચણ અને ઉપયોગ થાય
તેવી ગોઠવણ વીલ-વસિયતનામાં કરી શકે છે. પોતાના કાયદેસરના વારસદારોમાંથી કોઈક
વારસદારને મળવાપાત્ર હિસ્સા કરતાં વધુ કે ઓછું અથવા નહીં આપવા ઈચ્છા હોય તો
વ્યક્તિ જે પ્રમાણે આપવા માંગતા હોય તેવી વીલ દ્વારા ગોઠવણ કરી શકે છે. પોતાના
કાયદેસરના વારસદારો સિવાયની કોઈ વ્યક્તિને પોતાની સ્વપાર્જિત મિલકતમાંથી પોતાના
મરણ બાદ વ્યક્તિ જો કાંઈ આપવા ઈચ્છતો હોય તો તેવી વ્યવસ્થા કરી શકે છે. પોતાની
સ્વપાર્જિત મિલકતમાંથી વ્યક્તિ પોતાના મરણ બાદ કોઈ સંસ્થાને કે ધાર્મિક કે
જનહિતાર્થે કોઈ કામમાં પોતાની મિલકતનો ઉપયોગ કરવા ઈચ્છતી હોય તો તેની વ્યવસ્થા કરી
શકે છે. વ્યક્તિ પોતાના વારસદારો પૈકી કોઈ
અપંગ, વિકલાંગ, મંદબુદ્ધિ, વૃદ્ધ, અશક્ત, અસાધ્ય-બિમારીથી પીડિત વ્યક્તિ ઈત્યાદી
હોઈ તો તેની કાળજી તથા સંભાળ તથા ભરણપોષણ માટે વ્યવસ્થા વીલ-વસિયતનામાં દ્વારા કરી
શકે છે. વ્યક્તિ પોતાના મરણ બાદ કોઈ વ્યક્તિની સેવાનો બદલો મિલકત થકી અથવા
જીવનપર્યંત ભરણપોષણ તથા દવા-સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરી શકે છે. વીલ કર્તાના
કુંટુબના કોઈ વ્યક્તિના ગુજરી જાય તો તેના વારસદારો પૈકી કોઈ એક વારસદાર જો અન્ય તમામ
વારસદારો રોફ કે આધિપત્ય ધરાવતો હોય તેવો વ્યક્તિ અન્ય વારસદારોને અન્યાય ન કરે
તેની વીલ કર્તા વીલ દ્વારા કાળજી લઈ શકે છે. વ્યક્તિના મૃત્યુ અગાઉ પોતાના ગુજરી
ગયેલ પુત્ર/પુત્રી વારસદારો અંગે યોગ્ય કાળજી લઈ શકાય. વ્યક્તિના મૃત્યુ પછી અપરણિત પુત્રી કે પરણિત પુત્રી કે વિધવા
પુત્રી માટે યોગ્ય વ્યવસ્થા કરી શકાય જેથી ઝઘડા કે કોર્ટ કેસો ટાળી શકાય. વીલ
દ્વારા મહત્વના લાભ વારસોને એ રહેશે કે એમને જે મિલકત, રોકડ, દાગીના કે સ્થાવર કે
જંગમ સ્વરૂપે જે વીલ દ્વારા મળશે તેનો દસ્તાવેજી આધાર રહેશે એટલે કે વારસો સદર
મિલકતના માલિક કેવી રીતે બન્યા છે તે વીલ દ્વારા પુરવાર કરી શકાય છે. વીલ કર્તાના મૃત્યુ
બાદ પોતાના વારસદારોને વારસામાં મળતી મિલકત સરકારી દફતર તથા ઈન્કમટેક્સ કે અન્ય
કાયદા કે અન્વયે વારસદારો પોતાના નામે ચઢાવવા કોઈ તકલીફ કે મુશ્કેલી ન થાય તથા
મળવાપાત્ર લાભો સરળતાથી મેળવી શકે.
વીલ-વસિયતનામું
કોણ બનાવી શકે :-
વીલ-વસિયતનામું સગીર ન હોય
તેવા યા તો અઢાર વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ વ્યક્તિ જે સ્થિર મગજ વાળો હોય તો તે
વસિયત બનાવી શકે છે. કુંવારી કે પરણિત સ્ત્રી પણ પોતાનું વસિયતનામું બનાવી શકે છે. અશક્ત, બિમાર, વૃદ્ધ અને અંધ વ્યક્તિ પણ
વસિયતનામું બનાવી શકે છે. દારુ, કેફી પદાર્થ યાને નશાને કારણે વ્યક્તિ સભાન
સ્થિતિમાં જ હોવી જોઈએ. સ્થિર, સંતુલન માનસિક સ્વસ્થતા ધરાવતી વ્યક્તિ. મિલકતમાં
કાયદેસર હક્ક ધારણકર્તા. દબાણ કે બળજબરી ધાક-ધમકી વગરનો વ્યક્તિ. ગેરરજૂઆત કે
ગેરમાર્ગે કે છેતરપીંડીથી દોરાયા વગરનો વ્યક્તિ. આમ, ઉપર જણાવ્યા પ્રમાણે કોઈ પણ
વ્યક્તિ વીલ બનાવી શકે છે.
વીલ-વસિયતનામાના
આધારે કોણ લાભ લઈ શકે :-
વીલ-વસિયતનામાંનો લાભ સીધી
લીટીના વારસદારો સગીર કે પુખ્ત વયના વ્યક્તિ અથવા વારસદારો ન હોય તેવી વ્યક્તિ. આંધળી,
બહેરી, મૂંઢ, ગાંડી-અપંગ વ્યક્તિ. માતાના ગર્ભમાં રહેલ ગર્ભસ્થ બાળક. પરદેશમાં
રહેતી વ્યક્તિ. વિદેશી નાગરિક. ચેરિટેબલ શૈક્ષણિક સામજિક કે ધાર્મિક સંસ્થા. વિદેશી
ચેરીટેબલ ટ્રસ્ટ. દુશ્મન ગણાતી વ્યક્તિ. પશુ-પ્રાણી-પક્ષી વિગેરે કોઈપણ વીલના
આધારે લાભ લઈ શકે છે.
વસિયતનામું-વીલના
આધારે કોને લાભ ન મળે :-
જે
વ્યક્તિઓએ વીલમાં સાક્ષી તરીકે સહી કરી હોય. વસિયતકર્તાનું અપમૃત્યુ (ખૂન) થયું
હોય તેવા સંજોગોમાં ખૂન કરનાર કે ખૂન કરવામાં મદદ કરનાર. વસિયતકર્તા મૃત્યુ પામે
તે અગાઉ ઉત્તરદાનગ્રહિતા મૃત્યુ પામે તો તે ઉત્તરદાન ગ્રહણ ન કરી શકે. એક્ઝિક્યુટર
વહીવટકર્તા ઉત્તરદાન મેળવવા અયોગ્ય ઠરતા નથી.
વસિયતનામું-વીલ વિશિષ્ટ સંજોગો :-
હિન્દુ જ્ઞાતિ સિવાયના તમામ
કોમમાં અપરણીત પુરુષે કરેલું વીલ તેના લગ્ન પછી આપોઆપ રદ્દબાતલ થઈ જાય છે. પરંતુ
હિન્દુ વસિયતનામું એમ ને એમ રહે છે. દા.ત. હિન્દુ પુરુષે લગ્ન પહેલા તેની તમામ
સંપત્તિ વીલ દ્વારા કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને કે ગમે તેને આપી દીધી હોય અને વીલ
કર્તા લગ્ન પછી તે વીલ બદલવાનું ભૂલી જાય તો તેના મૃત્યુ બાદ બધી મિલકત વીલમાં
જણાવ્યા પ્રમાણે જેને લખી આપેલી હોય તેને જ મળે છે, વીલ કર્તાના વારસદારો, પત્ની
કે સંતાનોનો જો વીલમાં કોઈ ઉલ્લેખ ન કરેલો હોય અને મિલકત માંથી કોઈ હિસ્સો આપવાનું
લખેલ ન હોય તો તેમને કાંઈ ન મળે. વસિયતકર્તા પોતાના વીલમાં કાયદેસર અને બિનકાયદેસર
સઘળા બાળકોના નામ લખ્યા હોય અને ત્યારબાદ વીલમાં “મારા ઉપર
જણાવેલ બાળકો” ને મિલકત સરખે ભાગે મળે એમ
જણાવે તો આ વીલથી તેના કાયદેસર અને બિનકાયદેસર બાળકોને વસિયતકર્તાની મિલકત
ઉત્તરદાન તરીકે મળશે. કાયદેસર વસિયતનામું કર્યા બાદ અમુક ચોક્કસ સમય સુધી
વસિયતકર્તાને જીવીત રહેવું એવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી. વીલ વસિયતનામામાં
બિનજરૂરી વધારાની પોતે ખાનગી કે અંગત વિગતો અથવા વારસદારોનો વીલ કર્તા સાથે જીવન
દરમ્યાન વ્યવહાર કેવો હતો વિગેરે વસિયતનામામાં લખવાથી વસિયતનામું રદ્દબાતલ થતું
નથી. વ્યક્તિ વસિયતનામું કરી પોતાની સંપત્તિ સંતાનોને વીલથી સરખે હિસ્સે વહેંચી આપી
પરંતુ તે વ્યક્તિની પાછલી જીંદગીમાં મોટું દેવું થઈ જાય અને વસિયતકર્તા ગુજરી જાય
તો તેવી વ્યક્તિના દેવા અંગે તેમના સંતાનો કાયદેથી જવાબદાર લેખી શકાય નહીં. પરંતુ
વસિયતકર્તા જે મિલકતો મુકી મૃત્યુ પામી હોય તે મિલકતોમાંથી દેવું ચૂકવતા જે બાકી
વધેલી મિલકતો વસિયતકર્તાના સંતાનોને સરખે વહેંચી અપાશે. જો વસિયતકર્તા એક વીલ
કાયદેસરનું બનાવે છે અને પાછળથી બીજી નવી વસિયત બનાવે છે જેમાં ચોખ્ખા શબ્દોથી
અગાઉની પ્રથમ વસિયતને રદ્દબાતલ કરે છે. વસિયતકર્તાના મૃત્યુ બાદ ચોક્કસ કારણસર
તેનું આવું પાછળથી બનાવેલું બીજું વીલ જો ગેરકાયદેસર ઠરે અને અમલી બની શકે નહીં તો
તેનું અગાઉનું પ્રથમ વીલ માન્ય રહેશે અને તેને કરવા ધારેલ વીલનું રદ્દબાતલપણું
માન્ય ગણાશે નહીં. મરનાર પુરુષની વિધવા અને અપરિણીત દીકરીઓને જીવનનિર્વાહ માંગવાનો
અધિકાર છે. વીલ બનાવનાર વ્યક્તિએ પોતાના વીલમાં પોતાની વિધવા કે અપરિણીત પુત્રીઓને
કાંએ જ ન આપવાનું ન લખ્યું હોય તે છતાં હિન્દુ સક્શેશન એક્ટની કલમ ૩૦ અને ૩૧ મુજબ
તેઓને મરનારની મિલકતમાંથી જીવનનિર્વાહ માંગવાનો અધિકાર છે. વસિયતકર્તા પોતાના
વીલમાં અમુક મિલકત કોઈ એક ચોક્કસ વ્યક્તિને ઉત્તરદાન આપવાનું લખે અને સાથે તે
વ્યક્તિના નામ પાછળ વ્યક્તિઓના વર્ગને આપવામાં આવી છે તેવા શબ્દો પણ તેનો સ્પષ્ટ
ઉદ્દેશ તે એક વ્યક્તિને જ ઉત્તરદાન આપવાનો હોય તેવા કિસ્સામાં ઉત્તરદાનમાં જણાવેલ
વ્યક્તિ તે મિલકતનું પુરેપુરું હિત મળશે. જો
કોર્ટ માં વીલ ચેલેન્જ થયેલ હોય અને કોર્ટએ વીલ ને રદબાતલ ઠરાવેલ હોય તે સંજોગોમાં
વીલનો અમલ થઈ શકે નહીં. વીલ કર્તાને જો મિલકત વારસામાં મળેલ હોય અને એ મિલકતમાં
વીલ કર્તા સિવાય બીજા ઈસમનો પણ હક્ક-હિસ્સો હોય તો વીલ કર્તા પોતાની મિલકત પૂરતું
જ વીલ કરી શકે છે. અને જો વીલ કર્તાએ વારસાગત મિલકત માં પોતાના હિસ્સા સિવાયની
મિલકતનું વીલ કરેલ હોય તો તેનો અમલ થઈ શકે નહીં.
વસિયતનામું-વીલની
નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવવાના લાભો :-
વીલ-વસિયતનામું રજીસ્ટર્ડ કરાવવું
ફરજિયાત નથી પરંતુ વીલ-વસિયતનામં રજિસ્ટર્ડ કરાવવું સલાહભર્યું છે. વીલના
રજિસ્ટ્રેશનથી વીલ દબાણ હેઠળ કરવામાં આવ્યું નથી, વસિયતકર્તાની સહીઓ ખોટી છે,
સાક્ષીઓની યોગ્ય સહીઓ નથી વિગેરે ઘણા આક્ષેપોનો
સરળતા થી બચાવ થાય છે. સબ-રજિસ્ટ્રાર રૂબરૂ રજિસ્ટર કરાવેલું વીલ પણ રદ્દ કરી શકાય
છે તથા રજીસ્ટર્ડ વીલ માં ફેરફાર કે સુધારા-વધારા પણ કરી શકાય છે. રજિસ્ટ્રેશન
કરાવેલ વીલનું કોડિસિલ પણ રજિસ્ટર કરાવવું ફરજિયાત થાય છે. રજિસ્ટ્રેશન કરાવેલ
વીલનું કેન્સલેશન પણ રજિસ્ટર કરાવવું ફરજિયાત છે. વસિયતકર્તાની ઈચ્છા પૂરી કરવામાં
આવનાર અવરોધથી બચાવ થઈ શકે છે. વીલનું ગૂમ થવું, ખોવાઈ જવું, ભૂલાઈ જવું વિગેરેની
મુશ્કેલી ટાળી શકાય છે. વારસદારો વચ્ચે અણબનાવ હોય તો જેના કબ્જામાં વીલ હોય તો
બાકીના વારસદારોને તેમના હક્ક મેળવવા ઊભી થતી તકલીફ ટાળી શકાય છે. રજિસ્ટર્ડ વીલ
હોય તો રેવન્યુ ઓથોરિટી, ઈન્કમટેક્ષ, બેન્ક વિગેરેમાં વીલની યથાર્થતા પુરવાર
કરવામાં સરળતા રહે છે તથા સગીરોને પ્રાપ્ત થતાં હક્કોનું રક્ષણ કરવામાં સરળતા રહે
છે તથા ધર્માદા કરેલ રકમ કે મિલકતને વસિયતકર્તાની ઈચ્છા મુજબ વ્યવસ્થા કરવામાં
સરળતા રહે છે. વીલ રજિસ્ટર કરાવવું ફરજિયાત નથી પરંતુ વીલ રજીસ્ટર્ડ કરાવવું ખાસ
સલાહભર્યું છે. આમ, રજિસ્ટર્ડ કરાવ્યા વગરનું વીલ પણ કાયદેસર વીલ છે.
વીલ-વસિયતનામા વિશે નામદાર
સુપ્રિમ કોર્ટ તથા દેશની વિવિધ હાઈકોર્ટોએ અસંખ્ય ચૂકાદાઓ આપેલ છે. અને જે તે
કેસને અનુરૂપ નવા નવા સિદ્ધાંતો પ્રતિસ્થાપિત કરેલ છે. અને બધાજ સિદ્ધાંતોનો આ
લેખમાં સમાવેશ કરવો શક્ય નથી. જેથી મેં આ લેખમાં અગત્યની હકીકતો ટૂંકમાં સમજાવવા વિનમ્ર
પ્રયાસ કરેલ છે. અને પોતાની મિલકતનું વીલ-વસિયતનામું કરવા ઇચ્છનાર વ્યક્તિએ પોતાના
પરિચિત એડ્વોકેટનો સંપર્ક કરી તેમની સલાહ લઈ વીલ-વસિયતનામું કરાવવું હિતાવહ છે.
આ સાથે નીચે વીલનો એક નમૂનો દર્શાવેલ છે. જેમાં સ્થળ સંજોગો વ્યક્તિ પ્રમાણે સામાન્ય સમજણ થી જરૂરી ફેરફાર કરી શકાય છે. તેમ છતાં વધુ સ્પેસીફીક લખાણ માટે મારો ૯૦૯૯૦૧૩૭૯૬ નંબર ઉપર સંપર્ક કરવો.
વીલ યાને વસિયતનામું
<વિલ
કરનારનું નામ> નું છેલ્લું વીલ યાને વસિયતનામું.
હું
નીચે સહી કરનાર <વિલ કરનારનું નામ>, જાતે : <વિલ કરનારનો
ધર્મ>, ઉ.વ.આ. : પુખ્ત, ધંધો : <નોકરી/વેપાર/ઘરકામ/ખેતી>,
રહે : <વિલ કરનારનું પુરુ સરનામું> ના તે નીચે પ્રમાણે મારી
મિલ્કતનું આ છેલ્લું વિલ યાને વસિયતનામું મારા તન મન ની સંપૂર્ણ સાવધ સ્થિતિ માં
કરું છું.
૧. આ અગાઉ મેં મારી મિલકત અંગે કોઈ વિલ કે વિલ
સ્વરૂપનું કોઈ લખાણ કરેલ નથી. આમ છતાં તે કાંઈ મળી આવે તો તે આથી રદ્દ બાતલ કરું
છું. અને આ છેવટનું વિલ કરું છું.
૨. હાલમાં મારી ઉંમર થયેલ છે. આ દુનિયા મા
ક્ષણભંગુર અમે નાશવંત દેહનો કોઈ ભરોસો નથી અને હું ગુજરી જાઉં ત્યારે મારી
મિલ્કતનો બગાડ ન થાય તે માટે અને મારી
મિલ્કતની વ્યવસ્થા મારા ધાર્યા મુજબ થાય તે માટે હું મારું આ છેવટનું વિલ
યાને વસિયત નામું મારી તન મન ની સાવધ સ્થિતિ માં કોઈના કોઈ પણ પ્રકાર ના દાબ દબાણ
કે લાગવગ વગર કરું છું અને આ મારું છેવટ નું વિલ યાને વસિયતનામું ગણવાનું છે.
૩. મારી પતિ/પત્ની નામે <વિલ કરનારના
પતિ/પત્નીનું નામ> છે તથા મારા સંતાનો નામે <વિલ કરનારના
સંતાનનું નામ> ૨. <વિલ કરનારના સંતાનનું નામ> છે. મારા સંતાનોને
પરણાવેલ દીધેલ છે. મારા દિકરા <વિલ કરનારના સંતાનનું નામ> મારી સાથે
રહે છે જ્યારે પુત્રી પોતાના સાસરીમાં રહે છે અને સુખી સંપન્ન છે તેમજ તેઓના
લગ્ન પ્રસંગે જે કાંઈ આપવાનું હતું તે તમામ ચીજ વસ્તુઓ આપી દીધેલ છે તેમજ તમામ
વ્યવહાર પૂર્ણ કરેલ છે. તે રીતેના મારા નજીકના સગા વારસદારો છે.
હયાત પેઢીનામું
<વિલ
કરનારનું નામ>
![]() |
|
|
|
|
૪. મારા મૃત્યુ બાદ મારી અંતિમક્રિયા વિગેરે
તમામ ખર્ચ મારા પુત્ર <વિલ કરનારના સંતાનનું નામ> એ કરવાનો રહેશે.
૫. આ વિલનો અમલ મારા મૃત્યુ બાદ કરવાનો છે.
૬. આ વિલની રૂએ મારી મિલકતો અંગે વારસાઈ
સર્ટીફીકેટ યા પ્રોબેટ લેવાની જરૂર પડે તો તે મારા પુત્ર <વિલ કરનારના
સંતાનનું નામ> એ કરવાનો રહેશે.
૭. મારી
મિલકતની વિગત નીચે મુજબ છે.
<વિલ
કરનારની મિલકતનું પુરેપુરુ વર્ણન>.
૮. મારે કોઈનું દેવું નથી અને જો કોઈ દેવુ
નીકળે તો તે ભરપાઈ કરવાની જવાબદારી મારા દિકરા <વિલ કરનારના સંતાનનું
નામ> ની રહેશે.
૯. તે રીતે ઉપર જણાવેલી મારી સ્થાવર તથા જંગમ
મિલકત મારી પોતાની આગવી સ્વતંત્ર માલિકી કબ્જા ભોગવટાની છે. તે તમામ મિલકત તથા હું
નવી પ્રાપ્ત કરું તે તમામ તથા શરતચૂકથી આ વિલ યાને વસિયતનામામાં લખવાની રહી ગઈ હોય
તે તમામ મારી મિલકત હું ખાઉં, વાપરું, ભોગવું, વેચું, સાટું યા તેનું દિલ ચાહે તેમ
કરું અને દેવ ઈચ્છાએ મને રજા કજા થાય અને હું ગુજરી જાઉં ત્યારે મારી હયાતી બાદ
મારી જે મિલકત રહી ગઈ હોય તે તમામની હું નીચે મુજબ વ્યવસ્થા કરું છું.
ઉપર જણાવેલ તમામ મિલકત આથી હું
મારા પુત્ર <વિલ કરનારના સંતાનનું નામ> ને આપવા ઠરાવું છું.
૧૦. તે રીતે ઉપર જણાવ્યા પ્રમાણે મારી મિલકત ની
વ્યવસ્થા કરવાની છે.
૧૧. તે રીતેનું આ વિલ યાને વસિયતનામું મેં મારા તન
મન ની સંપૂર્ણ સાવધ સ્થિતિમાં કોઈ પણ શખ્શ ના કોઈપણ જાતના દબાણ કે લાગવગ વગર મારી
રાજી ખુશી થી તથા અક્કલ હોંશીયારી થી કરેલ છે અને તે મને વંશ-વાલી-વારસો ને કબૂલ
મંજૂર અને બંધનકર્તા છે.
અમો અમારી એકમેકની હાજરીમાં
અમારા સામે <વિલ કરનારનું નામ> આ વિલ યાન વસિયતનામા ઉપર સહી કરેલ છે
જેની અમો સાક્ષીઓ સાક્ષી આપીએ છીએ.
સ્થળ : વિલ
કરનાર ની સહી
તારીખ :
<વિલ કરનારના સંતાનનું નામ>
સાક્ષીઓની
સહી
૧.
<સાક્ષીનું
નામ તથા પુરુ સરનામું>
૨.
<સાક્ષીનું નામ તથા પુરુ
સરનામું>
વિલ
કરનારનું નામ તથા સહી
|
ફોટો
|
અંગુઠાનુ
નિશાન
|
<વિલ કરનારનું નામ>
|
|
![]() |
સાક્ષીઓના
નામ તથા સહી
|
ફોટો
|
અંગુઠાનુ
નિશાન
|
<સાક્ષીનું નામ >
|
|
![]() |
<સાક્ષીનું નામ >
|
|
![]() |
No comments:
Post a Comment